ગુજરાતિ નિબંધ માતૃપ્રેમ

 

માતૃ પ્રેમ

           ઈશ્વરે જ્યારે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌપ્રથમ મા બનાવવાનું વિચાર્યું હશે. અનન્વય અલંકારમાં એમ કહીએ કે વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ, તો કંઈ ખોટું નથી.એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી. માતાનો જોટો જડવો મુશ્કેલ છે. માતા, માં, જનની, મમ્મા આ શબ્દો સાંભળતા ની સાથે જ બાળકની આંખમાં એક અનેરી ચમક આવી જતી હોય છે.

           બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની અમૂલ્યવાન સેવાનો બદલો બાળક ૭ જન્મમાં ૫ણ ઉતાારી શકે તેમ નથી. બાળક જ્યારે માના ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખ ના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોત તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યું હોત ? કોણે આપણને સંસ્કાર આપ્યા હોત? કોણે આટલો પ્રેમ લુટાવ્યો હોત?.

           માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકને જોઈને કે તેની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે કે કેટલુ મુશ્કેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેમ નથી.

           કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. બાળઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે. પ્રસૂતિની પીડા મા જ સહન કરે છે, મા બાળકને સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો મા પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને તે સુકામાં સુવડાવે  છે. બાળકને સવારે ઉઠાડવું, તેને નવડાવીને તૈયાર કરવું, તેને સમયસર દૂધ-નાસ્તો, ભોજન આ૫વુ, બાળકને તૈયાર કરી શાળાએ મોકલવું, બાળક બીમાર પડી જાય ત્યારે રાત-દિવસ ઉજાગરા વેઠીને બાળક ની સેવા કરવી, આ બધા કામોમાં મા થાકી જાય ખરી પણ ક્યારે કંટાળતી નથી‌.

           એક મા કદાચ અભણ હોઈ શકે, પણ એ હંમેશાં પોતાના સંતાનને દુનિયાનું સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા મોંઘામાં મોંઘુ ભણતર આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એટલે જ શાસ્ત્રોમાં જો કોઈને પ્રથમ ગુરુ કયા હોય તો એ છે મા.  માની મમતા શબ્દોમાં જણાવી ખૂબ જ કઠિન છે એટલે જ કહ્યું છે ને કે માં તો ભગવાનનું સ્વરૂપ છે.          

          જો ઘરેથી માં ના આશીર્વાદ લઈને નીકળો ને, તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે. એક મા આગળ તો દુનિયા વૈભવ પણ ટૂંકો લાગે સાહેબ એકવાર જરા નજર નાખજો એ બાળકોના બાળપણ પર, જે જેમણે કોઈક કારણોસર પોતાની માતાનુ ગુમાવી છે. અને આપણી પાસે જો આપણી મા હોય ને તો ચહેરાની ચમક અલગ હોય છે.

           બાળકોમાં સંસ્કાર સિંચન કરવામાં મા નો ફાળો અમૂલ્ય હોય છે. પિતા ધંધાર્થે બહાર જાય છે, બાળક સાથે માં જ વધારે સમય રહે છે, કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે. મા બાળકને વાર્તા સંભળાવે, ગીત ગાવે, તેની સાથે વાર્તાલાપ કરે તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણોનો વિકાસ થાય છે.

           શિવાજી, મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરે મહાન પુરુષોના જીવન ઘડતરમાં પણ માતાનો ફાળો વિશેષ રહેલો હતો. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. મા વિનાનો સંસાર ગોળ વિના ના કંસાર જેવો હોય છે.જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા છે.

          કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્ત કંઠે ગાયો અને બિરદાવ્યો છે, કવિ બોટાદકર એ પોતાની કવિતામાં કહ્યું છે કે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ. માતા એ માતા જ છે, પછી આઠ બાળકોની માતા હોય કે એક સંતાનની. માતાને મન તેનું પ્રત્યેક બાળક કાળજા નો કટકો હોય છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની એના વાત્સલ્યનું ઝરણું વહ્યા જ કરે છે.  વળી બાળકો હૃષ્ટપુષ્ટ અને દેખાવડો હોય એ જરૂરી નથી માતાને મન તો એનું લુલુ લંગડું કે બહેરુ બોબડુ બાળક ૫ણ ગુલાબ ના ગોટા જેવું જ હોય છે. માતા પોતાના સંતાનોને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે

          આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળી અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય તો પણ દીકરાએ જો માની આંગળી ૫કડી હશે તો એને બીક નહીં લાગે. એની આંગળી નિર્ભય છે. મા શબ્દ મમતાથી ભરેલો છે. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે, એવું નથી. પશુ-પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. ચકલી ચણ લાવીને બચ્ચા ને ખવડાવે છે. ગાય વાછરડાને જીભ વડે ચાટી પોતાની મમતા બતાવે છે. વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડી ફરે છે.જો અબોલા પ્રાણીમાં ૫ણ આટલી માયાને લાગણી હોય, તો માનવ માતા ની તો વાત જ શી કરવી.

          એટલે જ કહેવાય છે કે ‘‘જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.’‘

          જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે તે બાળકની પ્રેરણા દાત્રી ની છે. નેપોલિયન જેવાને ૫ણ કહેવું પડેલું કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનના ચારિત્ર ઘડતર કરે છે તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.

            આ મા બનવુ પણ કંઇ સહેલુ નથી કારણ કે૫ નવ માસનાં ગર્ભાધાન પછી આખરે પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી અનેક બલિદાન માંગી લે છે. અને આ બધું એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવના થી માત્ર પોતાના દેવના દીધેલ માટે.

           આ સૃષ્ટિનું સર્જન કર્યા બાદ જ્યારે ઈશ્વરે બધે સમય ન પહોંચી શકે ત્યારે તેને માનું સર્જન કર્યું છે. કહેવાય છે ને કે આખું જગત એક તરફ અને માની મમતા એક તરફ, ધરતીનો છેડો ઘર અને ઘર નો છેડો માં. બધે જ ફરીને આવ્યા બાદ સાચી શાંતિ તો માના ખોળામાં જ મળે. કહેવાય છે ને કે પૈસાથી બધું મળે, હું મારું બધું જ આપી દઉં છું મને મારી મા મળે?.

          માતૃપ્રેમ શબ્દ એ જ સંપૂર્ણ લાગણીથી ભરાયેલો છે. મા બોલતાની સાથે જ મોં પણ ખુલી જાય છે અને જો પુરા જગતની સરખામણી પણ જો મા સાથે કરીએ તો થઈ જાય, પરંતુ મા ની સરખામણી જગતમાં કોઈ સાથે કરવી શક્ય નથી. એટલે જ એક સરસ કહેવત યાદ આવે છે કે, મા તે મા બીજા બધા વગડાના વા.

           આટલું સહન કરીને, પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારા ને બદલે અપમાન મળે, અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર. આટલું થવા છતાં માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ આપતી રહે છે તેથી જ તો કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.


Post a Comment

Previous Post Next Post